જલન માતરી ગઝલ : જગતના ઝેર પીવાને હવે શંકર નહીં આવે : જલાલુદીન સઆહુદિન અલવી જેઓ જલન માતરી તરીકે જાણીતા હતા. તેમનો જન્મ 1 સપ્ટેમ્બર 1934 અને અવસાન 25 જાન્યુઆરી 2018નાં રોજ અમદાવાદ ખાતે થયું હતુ. તેઓ પ્રખ્યાત ગુજરાતી ગઝલકાર હતા. 2007માં ગુજરાત સરકાર દ્વારા તેમને વલી ગુજરાતી ગઝલ એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.

જલન માતરી ગઝલ
પીધાં જગતના ઝેર એ શંકર બની ગયો,
કીધાં દુ:ખો સહન એ પયંબર બની ગયો
મળતો નથી દરજ્જો કોઈ સાધના વિના,
પણ તારી મેળે તું ખરો ઈશ્વર બની ગયો.

મોકલી પયગમ્બો પણ બેશુમાર,
તેં કરાવ્યો તારા હુકમોનો પ્રચાર,
એક તો બતલાવ કે આ જગમહીં,
કોઈ ગાંઠે છે તને પરવરદિગાર?
બુદબુદારૂપે પ્રકટ થઈ ડૂબનારાની વ્યથા,
ઠેસ દિલને, બુદ્ધિને પૈગામ એવો દઈ ગઈ
કેટલાં હલકાં છે આ સાગરના પાણી શું કહું?
જીવ તો ડૂબી ગયો, ને લાશ તરતી થઈ ગઈ.
સતાવ્યા સારા ઈન્સાનોને તેં પયગમ્બરી દઈને,
તને શું શોભતું’તું આવું કરવાનું ખુદા થઈને?
ખુદા એવા જનોને નર્કમાં નાખીને શું કરશો?
ફરે છે જે જ્યે કેવળ શરીરે હાડકાં લઈને.

અસર ના ઝેરની શંકરને થઈ એ વાત જુદી છે,
હકીકતમાં તો પીવું પડ્યું’તું સંજોગવશ થઈને
ગમે તેવા સ્વરૂપે હું નહીં છોડું આ ધરતીને,
મરણની બાદ પણ રહેવાનો છું અહીંયા કબર થઈને.
જગતના ઝેર પીવાને હવે શંકર નહીં આવે.
દુ:ખી થવાને માટે કોઈ ધરતી પર નહીં આવે,
હવે સદીઓ જશે ને કોઈ પયગમ્બર નહીં આવે.
હવે તો દોસ્તો ભેગા મળી વહેંચીને પી નાખો,
જગતના ઝેર પીવાને હવે શંકર નહીં આવે.
પરે છે શાને કારણ, અલ્લાહ સીધો રહેને,
શું જોઈએ છે તારે, હાજર થઈને કહેને
પંગતમાં દુશ્મનોની તું કેમ જઈને બેસે?
અલ્લાહ તને ગણું છું અલ્લાહ થઈને રહેને
પંગતમાં આસ્તિકની બદનામ થાઉં છું,
તુજને અનુસરું તો નાસ્તિક ગણાઉં છું.
અન્યોના રાજપાટને જોઈને ઓ ખુદા,
પૂછું છું પ્રશ્ન એ કે હું તારો શું થાઉં છું?
તું ખુદા થઈને આ કેમ સાંખી શકે,
લોક તુજ નામ ૫૨ ભીખ માગ્યા કરે,
નામ એનું અહીં છે સમંદર ‘જલન’,
પેટ જેનું કરોડો સરિતા ભરે
કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.

શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયંબરની સહી નથી.
મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’,
જીવનની ઠેસની તો હજુ કળ વળી નથી.
ગરીબોને જરા આરામ કરવા પણ નથી દેતા,
ઘડીભર યાર છૂટા શ્વાસ ભરવા પણ નથી દેતા,
કુબેરો ને અમારા શાસકો યમથીએ ભૂંડા છે,
ગળું દાબી રિબાવે છે ને મરવા પણ નથી દેતા.

ઘૂંટી લે શ્વાસ જ્યાં લગી ઘૂંટી શકાય છે,
ઊંડે ગયા વિના કહીં મોતી પમાય છે?
જુલ્ફો છે અસ્તવ્યસ્ત, ન મુખ ઓળખાય છે,
તો કોણ ઓ ખુદા સાગરમાં ન્હાય છે,
અજ્ઞાનતા ને કારણે અશ્રુ ન સાચવ્યાં,
કહે છે કે ટીપે ટીપે સરોવર ભરાય છે.
- બરકત વિરાણી ગઝલ યુગનું બેફામ ઉપનામ 2 જાન્યુઆરીએ મૌન થયેલું
- ચુનીલાલ મડિયા લિખિત ગુજરાતી વાર્તા ‘વાની મારી કોયલ’
પૂર્વજોએ જે કર્યું એને અનુસરવું નથી,
નિર્ણયો ખોટા લઈ તકલીફમાં પડવું નથી,
જીવતા રહેવું છે કાયમ ઓ ખુદા મરવું નથી,
ઉલમાંથી નીકળીને, ચૂલમાં પડવું નથી.
વાત સાચી હોય તો કહી દો રહો ના ભારમાં,
સાંભળ્યું છે કે પડ્યા છો આપ મારા પ્યારમાં
મંઝિલ હો જેનું ધ્યેય એ રસ્તા નહીં જુએ,
ઉદ્યમી હો એ હસ્તની રેખા નહીં જુએ,
દાનેશ્વરીનું કામ છે ખેરાત ખેંચવી,
યાચકની જાતને કદી દાતા નહીં જુએ.
માર્ગમાં મળતાં નદી એ વાત વહેતી થઈ ગઈ,
વાત ઝરણાની હતી સાગર સુધી પહોંચી ગઈ.